Friday, December 16, 2011

ગાંધીજીએ ‘ફંદા’ કરીને જામ રણજીની ટીમને હરાવી હતી!


આજથી લગભગ સવાસો વર્ષ પૂર્વે રાજકોટની રાજકુમાર કોલેજમાં 
રમાયેલી એક ઐતિહાસિક ક્રિકેટ મેચની રોચક દાસ્તાન! ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને સીરીઝ સાથે નવી સીઝનનો આરંભ થઇ રહ્યો છે ત્યારે એક વિશેષ સંભારણું !


બે રન બાકી હતા ત્યારે ગાંધીજીએ
રણજીને ‘ડખ્ખા’ કરી આઉટ કર્યા !
રણજીએ પાછળથી ગાંધીજી વિશે શું
કહ્યું ? તેમનો અભિપ્રાય શો હતો?

રણજીની ટીમની ઉપરાઉપરી બીજી ત્રણ વિકેટો પડી ગઇ ! છેલ્લો બેટ્સમેન બિલ રણજી સાથે જોડાયો. હવે બે રન જ કરવાના હતા. બિલે ગાંધી સામે બેટિંગ કરવાનું હતું. એક ઝડપી રન લઇ સ્ટ્રાઇક લેવા માટે રણજીએ વહેલું ‘બેકિંગ અપ’ કર્યુ ને ચતુર બોલરએ, બોલ ફેંકવાને બદલે, નોન સ્ટ્રાઇકર્સ એન્ડનાં ચકલાં ઉડાવી અપીલ કરી, ને રણજી રન આઉટ! અંગ્રેજી અમ્પાયર મેકનોટનનો અભિપ્રાય સ્પષ્ટ હતો કે બોલર નિયમોની મર્યાદામાં રહીને જ વર્ત્યો છે. રણજીની ટીમ હારી! ક્રિકેટના નિયમોની દ્રષ્ટિએ જામ રણજી બેશક આઉટ હતા. પરંતુ ખેલદિલીની દ્રષ્ટિએ જોઇએ તો બોલરએ રમતનો સ્પિરિટ જાળવ્યો ન ગણાય! આજે પણ આવી રીતે બોલરને મોકો મળે તો પણ નોનસ્ટ્રાઇક પરના બેટ્સમેનને એ આઉટ કરતો નથી. પરંતુ અહીં બોલરએ, કાઠિયાવાડીમાં કહીએ તો ‘ફંદા’ કર્યા. અને એ બોલર પણ કોણ! બીજા કોઇ નહીં, ખુદ મોહનદાસ કરમચંદ ગાંધી! રાજકોટના રાજકુમાર કોલેજમાં ૧૮૮૩ આસપાસ રમાયેલી આ મેચમાં ગાંધીજીની ટીમનો રણજીની ટીમ સામે વિજય થયો હતો. મહિલા કોલેજનાં એક મહિલા પ્રોફેસર, ભાવનાબેન ખોયાણીએ રજૂ કરેલા શોધ નિબંધમાં આ બધી વાતો નોંધવામાં આવી છે:

રણજીનું આરંભનું શિક્ષણ રાજકોટની રાજકુમાર કોલેજમાં થયેલું. ત્યાં તેમને એક પારસી કોચ દ્દ્વારા માર્ગદર્શન મળ્યું. ઉપરાંત અહીંના હેડમાસ્તર દ્વારા પ્રોત્સાહન પણ મળ્યું. અહીં તેમણે જાગૃતિપૂર્વક અને રસથી ક્રિકેટની પ્રેકિટસ કરેલી. અહીં રાજકોટમાં ૧૮૮૩ થી ૧૮૮૭ વચ્ચે એક વિરલ ઘટના બની. એમ.કે. ગાંધી અને કે.એસ. રણજિતસિંહજી, ભારતમાતાના ભિન્ન ભિન્ન ક્ષેત્રના બે સપુતો અહીં એક મેચમાં સામસામે આવી ગયા. છેક ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા તેમજ ભારતમાં સત્યાગ્રહી તરીકે જાણીતા થઇ ગયા પછી, રણજી પોતાના મિત્ર ચાર્લીને ગાંધીજી વિશે લખે છેઃ
‘વિશ્વ ક્રિકેટના રાજકુમાર રણજી’ (પ્રવિણ પ્રકાશન, પાના નં.૯)  પુસ્તકમાં જામ રણજીનો ગાંધી વિશેનો અભિપ્રાય પ્રકાશિત થયો છેઃ તેમાં તેઓ લખે છે  કે, 
‘હા, આ એમ.કે. ગાંધી જ (જેણે અત્યારે સમગ્ર ભારત વતી અંગ્રેજો સામે જંગ માંડ્યો છે તે) ત્યારે રાજકોટની શાળાના ગોલંદાજ ને સુકાની હતા.
મેચને દિવસે ઠંડી સારી હતી પરંતુ પિચ કઠણ, ધુળભરેલી ને રાજકોટની શાળાના સુકાનીની બોલીંગ માટે અનુકૂળ હતી. તે (ગોલંદાજ અને સુકાની) દીવાનનો પુત્ર હતો, જ્ઞાતીએ વાણિયો હતો ને તેનું નામ એમ. કે. ગાંધી હતું. તે મૃદુભાષી હતો ને અંગ્રેજી કડકડાટ બોલતો હતો.’

ગાંધીજીની ટીમે પ્રથમ દાવ લઇ ૧૬૮ રન કર્યા. તેમાં ગાંધીજીનો ફાળો પાંચ રનનો હતો પછી રણજીની ટીમનો દાવ આવ્યો. રણજી પોતાના મિત્રને લખે છેઃ
‘મેં લગભગ ચારેક રન કર્યા હતા. અમારી ચાર જ વિકેટો બાકી હતી. સ્પષ્ટ હતું કે મારો સૌથી જોખમી પ્રતિસ્પર્ધી ગાંધી હતો. તેના ધીમા લેગબેક બોલથી એ વિકેટ પર રમવાનું મુશ્કેલ બની ગયું હતું.’

ગાંધીજીના કાર્યક્ષેત્રને તેમજ તેમના જીવનના તત્ત્વજ્ઞાનને ને ક્રિકેટને બે ધ્રુવો જેટલું અંતર. આમ છતાં એ ભિન્ન ક્ષેત્રમાં કિશોરવયે ગાંધીજીએ પોતાની નિર્ણયશકિત, તજજ્ઞતા ને ક્ષમતા થકી રણજી જેવાની પ્રશંસા મેળવી છે તે નોંધપાત્ર છે. રણજી લખે છે, ‘અમને તેમની તાકાતનો ડર નહોતો. બધા વાણિયાબ્રાહ્મણ જ હતા, પણ તેઓ ચાલાક હતા.’ ગાંધીજીની એ ચાલાકીનો પરિચય પછીથી જગતના પ્રખર મુત્સદ્દીઓને પણ થવાનો હતો. આ આખી ઘટના એ બંને મહાનુભાવોના વ્યકિતત્વમાં નવું, રસપ્રદ ને સંતોષપ્રદ પરિણામ ઉમેરે છે.

પોતાના વિદ્યાર્થીકાળમાં ગાંધીજી કેવી પ્રવૃત્તિ કરતા અને તેમનો શોખ શું હતો? તેની ઘણી માહિતી ઓછી જાણીતી રહી છે. પણ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલના ગાંધીજીના સ્હાધ્યાયી. જેઓ પાછળથી આલ્ફ્રેડ હાઇસ્કૂલના હેડમાસ્ટર થઇને નિવૃત્ત થયા હતા, તે એ વખતના શિક્ષણ શાસ્ત્રી રતિલાલ ઘેલાભાઇ મહેતાએ જાણીતા પત્રકાર  હરિશ બૂચને આપેલી એક મુલાકાતમાં ગાંધીજી સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. રતિલાલ મહેતાએ બાપુના ઓછા જાણીતા પાસા તેમના ક્રિકેટ પ્રેમ અંગે કહ્યું કે, ગાંધીજી બહુ સારા ક્રિકેટર હતા અને શાળાના વિદ્યાર્થી તરીકે તેઓને ક્રિકેટમાં ઉંડો રસ હતો. એ બહુ જાણીતી વાત નથી.

 રતિભાઇએ જૂના સ્મરણો તાજા કરતા કહ્યું હતું કે અમે ઘણી વખત સાથે ક્રિકેટ રમ્યા હતા અને ગાંધીજીની બેટિંગ અને બોલીંગ બંને સારા હતા. જો કે શાળામાં વ્યાયામ તરફ ગાંધીજીને બહુ રૂચિ નહોતી આ વાત તેમણે પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં લખી છે.
રતિભાઇ મહેતાએ બહુ જાણીતી નથી એવી વાત એક રમુજી શૈલીમાં કરી છે કે, ગાંધીજી એક વખત વિદ્યાર્થી તરીકે બહુ તેજસ્વી નહોતા અને તેમનો સ્વભાવ મળતાવડો ન હતો. થોડા ઓછા બોલા સ્વભાવના હતા. મસ્તીખોર છોકરાઓની સંગતથી તે દૂર રહેતા.
વિદ્યાર્થીકાળમાં ગાંધીજીને કેવો શોખ હતા એ પણ જાણવા જેવું છે. શાળાના મિત્રો સાથે ગાંધીજી પત્તા રમતા. ગાંધીજીને વિદ્યાર્થીકાળમાં સંગીતનો પણ શોખ હતો. કોઇ વખત તેમના જોડીદારનું વાયોલીન વગાડવા બેસી જતા. તેઓ શાળામાં અંગરખું અને ધોતીયું પહેરતા અને સાથે ભરત ભરેલી ટોપી પહેરતા હતા. જે આઠ આનામાં મળતી હતી.

ઈંગ્લેન્ડની એક ટીમ ગાંધીજીને મળવા ગઇ. આ ટીમે ત્યારે એક બેટ ગાંધીજીને ભેટ આપ્યું હતું. આ બેટમાં ગાંધીજી બારમાં ખેલાડી તરીકે પોતાનો ઓટોગ્રાફ કરી આપ્યો. આમ તો એ વખતે તેઓ અંગ્રેજી સલ્તનતને ભારતના ‘દુશ્મન’ ગણતા. છતાં અંગ્રેજ ખેલાડીઓ સાથે ગાંધીજીએ કેવી ખેલદીલી બતાવી હતી.
ગાંધીજી ભણતા ત્યારે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં હેડમાસ્ટર તરીકે  દોરાબજી એદલજી જીમી હતા. ગાંધીજી ૧૮૮૮માં ઈંગ્લેન્ડ ગયા ત્યારે જીમી સાહેબે શાળામાં નોંધ મૂકી કે આપણા ગામના તેજસ્વી વિદ્યાર્થી મોહનદાસ ક. ગાંધી ઈંગ્લેન્ડ બેરીસ્ટર થવા જાય છે. 






સૌજન્ય: પ્રિન્સિપાલશ્રી , રાજકુમાર કોલેજ - રાજકોટ 

Tuesday, December 6, 2011

દેવ આનંદને ફાળકે એવોર્ડ આપ્યો તો અમને નોબેલ આપો!




માન્યું કે એનો એક જમાનો હતો. કબૂલ કે યુવતીઓ તેના પર કુરબાન હતી. એ પણ કબૂલ કે તેની ઝુલ્ફોમાં કપાળના ઉપરના ભાગે જે નાનો શો ફુગ્ગો બનતો હતો એ જોઈ યુવા હૃદય ધબકાર ચૂકી જતા હતા. બધું જ મંજૂર. પણ તેથી શું થયું? દેવ આનંદ કંઈ આ ચિત્રપટ જગતનો પ્રથમ અને અંતિમ એવો સ્ટાર નહોતો કે જેના પર લોકો આટલી હદે ફીદા હોય. આજે સલમાનની હાલત પણ એવી જ છે ને! એની પાછળ છેલ્લાં વીસ-વીસ વર્ષથી યુવતીઓ પાગલ છે. પણ તેથી શું...? શું થોડાં વર્ષો પછી આપણે સલમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપીશું?


દેવ આનંદને ફાળકે એવોર્ડ મળ્યો કે અનેક વિચારોનો જાણે વરસાદ શરૃ થઈ ગયોઃ પ્રથમ પ્રતિભાવ તો અમારો એ જ હતો કે જો દેવને તેણે બનાવેલી ફિલ્મો માટે અથવા તેણે આપેલા અભિનય બદલ ફાળકે એવોર્ડ અપાતો હોય તો ગાંઠનાં ફદિયાં ખર્ચી, અમૂલ્ય સમય વેડફી, તેની ફિલ્મો સહન કરવા બદલ શું આપણને પણ આવો એકાદ તગડો એવોર્ડ ન મળવો જોઈએ? બીજો પ્રશ્નઃ આખું શરીર જાણે સ્પ્રિંગથી બનેલું હોય એમ મર્કટવેડા માંડી અહીં-તહીં ઉછળવું એને જો અભિનય કહેવાતો હોય તો રાજપાલ યાદવ ભારતવર્ષનો સર્વોત્તમ અભિનેતા ગણાવો જોઈએ. ત્રીજો પ્રશ્નઃ ફિલ્મોદ્યોગમાં ક્વોન્ટિટીનું મહત્ત્વ છે કે ક્વોલિટીનું? માન્યું કે તમે અહીં દાયકાઓ પસાર કર્યા, ડઝનના હિસાબે ફિલ્મો બનાવી. પણ તેથી શું તમે આપોઆપ મહાન થઈ ગયા?એ ફિલ્મો જોવી એટલે માત્ર શિરદર્દને જ નહીં, જાણે આખા શરીરની કળતરને નોતરું આપવા જેવું હતું તેનું શું? કથાના નામે કોઈનેય ગળે ન ઊતરે એવી ‘ડી’ ગ્રેડની વાર્તા હોય તેમાં. અભિનયના નામે તેમાં સેલ્ફ ઓબ્સેસ્ડ ઘનચક્કર બુઢ્ઢાના નર્યા પાગલપન સિવાય તમને કશું જ જોવા મળે નહીં.





દેવ એટલે નારસિસિઝમનું શ્રેષ્ઠતમ્ ઉદાહરણ. છેક આજની તારીખે પણ એને એવો ભ્રમ છે કે એને ફિલ્મો બનાવતા અને અભિનય કરતા આવડે છે. દેવના મિત્ર એવા મરાઠી ફિલ્મ પત્રકાર શિરિષ કણેકરે તેને એક વખત અદ્ભુત ખુલ્લો પત્ર લખ્યો હતો. એમાંના કેટલાક અંશો માણવા જેવા છે : “પરાભવ માન્ય કરવા માટે આ પત્રપ્રપંચ. આપણો અપશબ્દોનો સંગ્રહ વિશાળ છે,એવો મને ઘમંડ હતો. એ મેં ચપટી વગાડતામાં ઉતાર્યો. તારું ‘સચ્ચે કા બોલબાલા’ જોઈને બહાર નીકળ્યા પછી ફક્ત વીસેક મિનિટમાં જ મારા શબ્દકોશના બધા અપશબ્દો ખલાસ થઈ ગયા. હું હતપ્રભ થઈ ગયો. પહેલાજ નિહલાની, કે.સી. બોકાડિયા, ટૂટૂ શર્મા વગેરે કસબી નાદાનોને જે ફાવ્યું નહીં એ તેં કરી દેખાડયું! આટલું ખરાબ ચિત્રપટ તું બનાવી રહ્યો છે તેની અમને ખબર પણ ન પડવા દીધી ને લુચ્ચા? મેં જોયેલાં સૌથી ખરાબ પાંચ ચિત્રપટોમાં - ચાલ,દસ કહુ જોઈએ તો, તેમાં તારા ‘સચ્ચે કા બોલબાલા’ને ગણવામાં વાંધો નથી. આવી જીવલેણ સ્પર્ધામાં એક પ્રસંગ, એક સંવાદ, એક ક્ષણ પણ સારી ન હોય એવી ફિલ્મ બનાવવી એ કંઈ રેંજીપેંજીનું કામ નથી. (‘ધરમ-અધિકારી’માં પણ રાજેન્દ્ર કૃષ્ણનાં બે ચોટદાર વાક્યો હતાં અને‘મર્દ’માં એક એન્ગલથી વાઘ જરા સારો દેખાયો હતો!) કમાલ કરી છે છોકરા! તારું દરેક ચિત્રપટ જોઈએ તો લાગે કે આગલું સારું હતું. ‘લૂંટમાર’ જોયુ ત્યારે તીવ્રપણે લાગ્યું હતું કે આ સમુદ્રનું તળિયું છે, આના કરતાં નીચે જવું તારા માટેય શક્ય નથી. પણ ‘સચ્ચે કા બોલબાલા’ તેં એ પણ કરી દેખાડયું. ‘ઉત્કર્ષને સીમા હોય છે, અધઃપતનને નહીં’ એ વચન સિદ્ધ કરવાની જવાબદારી તેં પોતે જ તારા યુવાન ખભા પર ઉપાડી લીધી ને પાર પાડી દેખાડી, અભિનંદન! ...થોડા દિવસ પહેલાં ભાઈદાસ હોલનાં પગથિયાં પર કોઈ તિરસ્કારથી બોલ્યું, ‘સાલ્લા દેવ આનંદ કા થોબડા તીન ઘંટે કૌન દેખેગા! ઈસ કો માર કે નિકાલો તો ભી વાપસ આયેગા પરદે પે.’ હજી ઊગીને ઊભી થયેલી તોછડી છોકરીઓ તારા વિશે જેમતેમ બોલતી સંભળાય ત્યારે શરીરમાં આગ આગ થાય છે. થાય છે કે તેમને કહું, ‘જાઓ પહેલાં માના પાલવથી નાક લૂછી આવો અને પછી દેવ આનંદ વિશે મોઢું ખોલીને બોલ જો.’ પણ આપણો જ રૃપિયો ખોટો, તો તેમને શું કહું? આંખે પટ્ટી બાંધવાની, કાનમાં ડૂચો મારવાનો, તારી જેમ!”

શું હતો દેવ, અને શું થઈ ગયો! એ ક્યારેય એક સક્ષમ અભિનેતા નહોતો, પણ ભાઈ  ગોલ્ડીએ (વિજય આનંદે) તેને કુશળતાથી માંજ્યો હતો. દેવની કરિયરમાં જ તમે ગોલ્ડી નિર્દેશિત ફિલ્મોની બાદબાકી કરો જોઉં : જ્વેલથિફ, ગાઈડ, જ્હોની મેરા નામ, તેરે મેરે સપને જેવી ફિલ્મો પછી જે વધે એનું મૂલ્ય શૂન્ય કરતાં વધુ નહીં હોય. ગોલ્ડી પાસે એ હતો ત્યારે તેના વિકારો દબાયેલા હતા, પણ એક વખત એને છુટ્ટો દોર મળ્યો અને બધું ખતમ થઈ ગયું. અંટસ બેઉ ભાઈઓ વચ્ચે અહ્મની હતી. દેવ વાસ્તવમાં ગોલ્ડી થકી ઉજળો હતો અને નવચેતનના નામમાં સચિનદેવ બર્મન નામના સૂર્યનો અજવાસ હતો. બર્મનદા ગયા અને ગોલ્ડી સાથે વાંકું પડયું એ બેઉ દુર્ઘટનાઓ કલાકાર દેવ માટે ઓલમોસ્ટ ‘જીવલેણ’ નીવડી. પછી તેણે જે કંઈ કર્યું તેમાં પ્રાણ નહોતો. અભિનેતા તરીકે એ બેકાબૂ બન્યો. ગીત ગાતી વખતે એ બંને હાથ ખભામાંથી લટકતા રાખતો અને ગાયન ગાતા ગાતા જ ક્યારેક એ રિવર્સમાં દોડવા લાગતો. એના ગોઠણમાં જાણે ગાંઠીયો વા થયો હોય એમ દોઢપગા મનુષ્યની માફક એ નાયિકાઓ પાછળ દોટ મૂકતો. સબ્જેક્ટની તેને ગતાગમ ન રહી. ‘પ્રેમ પૂજારી’ અને ‘હરે રામ હરે ક્રિષ્ના’ને સફળતા મળી એમાં એ એટલો ફુલાયો, એટલો ફુલાયો... કે છેવટે ફાટી ગયો.

ગોલ્ડીએ તેના માટે એવી ફિલ્મો બનાવી જેમાં દેવની અભિનયક્ષમતા કરતાં પણ ક્યાંય વધુ કામ તેની પાસેથી તેણે લીધું. કહેવાય છે કે પંડિતોના વ્યાસંગથી અને તેમની જોડે સત્સંગ થકી મનુષ્ય બુદ્ધિમાન બને છે. પણ દેવ પર ગોલ્ડીનો કે પોતાના પરમમિત્ર ગુરુ દત્તની આવડતનો,ટેલેન્ટનો કશો જ પ્રભાવ ન પડયો. પ્રેમ પૂજારી અને હરે રામ હરે ક્રિષ્ના પછી કેવી કેવી ફિલ્મો બનાવી તેણે! એક એકથી ઊતરતી! દેવની આ ખૂબી રહી છે : કલાકારોને એ એટલાં વામણાં બનાવી શકતો જેટલાં એ લોકો ખરેખર બિચ્ચારા ન હોય! કલાકારોને એણે માંજ્યા નહીં, તેમનું સૌથી બદતર બહાર લઈ આવ્યો. તેણે કદી કોઠી ઉજળી કરી નહીં. બસ, તેમાંથી કાદવ જ ઉલેચ્યો.

વૃદ્ધાવસ્થામાં પ્રવૃત્ત હોય એવા લોકોના સ્પિરિટની આપણે કદર કરીએ છીએ અને તેમાંથી ધડો લેવાનું નવી પેઢીને શીખવીએ છીએ. પણ દેવ એક એવું કેરેક્ટર બનીને રહી ગયો જેના માટે બધાં પ્રાર્થના કરતા હોય : ‘ઈશ્વર! આ દાદાને નિવૃત્ત કરો તો સારું!’ એ કદી થાક્યો નહીં, દર્શકો થાકી ગયા. દર્શકોને તેનાથી ઊબકા આવવા લાગ્યા, એ ધરાયો નહીં. એનો કમિટેડ દર્શક તેનાથી વિમૂખ થતો ગયો. એ કયા જમાનાની ફિલ્મો બનાવે છે એ જ લોકોને સમજાયું નહીં. ભૂતકાળમાં આવી ફિલ્મો (પ્રાઈમ મિનિસ્ટર અને લવ એટ ટાઈમ સ્ક્વેર યાદ કરો જરા!) કોઈએ બનાવી નથી, વર્તમાનમાં (તેના સિવાય) કોઈ બનાવતું નથી. તો શું એ ભવિષ્યકાળની ફિલ્મો હશે? બિલકુલ નહીં. એની ફિલ્મો કોઈ અલગ જ બ્રહ્માંડની હોય એવું આપણને લાગે. અભિનયની એની ખણ હજુ મટી નથી એટલે લીડ રોલમાં તો બંદા ખુદ જ હોય! પછી ‘સેન્સર’માં તમે તેને કોર્ટરૃમમાં ન્યાયાધીશ સામે દલિલો પેશ કરતો જુઓ ત્યારે લાગે કે માળું, હિન્દી સિનેમામાં આનાથી વધુ કનિષ્ઠ કોર્ટરૃમ દૃશ્ય બીજું કયું હોઈ શકે? ‘અવ્વલ નંબર’માં આમિરને કનડવા ટીમભ્રષ્ટ ક્રિકેટર આદિત્ય પંચોલી હેલિકોપ્ટર લઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી જાય અને ‘સચ્ચે કા બોલબાલા’નો સંપાદક (દેવ પોતે જ સ્તો!) પોતાને ત્યાં સબ-એડિટર બનવા આવેલી છોકરી (મિનાક્ષી શેષાદ્રી)ને પોતાની કેબિનમાં જ નાચવાનો આગ્રહ કરે, પેલી નાચે... નાચતાં નાચતાં ફરાક ખાસ્સું ઊંચું થાય કે જાંઘ પર છેક ઉપરના ભાગે ગુલાબનું ફૂલ ત્રોફાવેલું દેખાય અને આ ટેટૂ પછી અનેક રહસ્યો ઉકેલી નાંખે. ‘ટાઈમ્સ સ્કવેર’માં એક વૃદ્ધ માણસને પામવા સાવ કિશોરી એવી છોકરી ઘર મૂકી જાય અને પછી... ઉદાહરણો અગણિત છે.

પણ ફરી સવાલ થાય છેઃ ફાળકે એવોર્ડસના જ્યૂરી મેમ્બર્સમાંથી કોઈએ ‘પ્રેમ પૂજારી’થી ગેંગસ્ટર્સ સુધીની ફિલ્મો જોઈ હોય તો એમણે આ એવોર્ડ બહુ વહેલો જ આપી દીધો હોત. અલબત્ત, દેવ આનંદને નહીં, આપણા જેવા પ્રેક્ષકોને!




*એકાદ વર્ષ પહેલા "સંદેશ"માં પ્રકાશિત થયેલો મારો લેખ 

Saturday, December 3, 2011

Swaminarayan, BAPS, Pramukh Swami & Apurva Swami

પ્રમુખ સ્વામિ, અપૂર્વ સ્વામિ અને સ્વામિનારાયણ સંસ્થાની અપૂર્વ ગરીબી!
માનવ સેવાની વાત આવે ત્યારે આપણા સંપ્રદાયો કેટલી હદ્દે કંગાળ હોય છે તેનો પુરાવો આપતો એક પ્રસંગ પ્રમુખ સ્વામિના જન્મ દિવસે એમને સાદર અર્પણ....







  
ગઈકાલે પ્રમુખ સ્વામિનો ૯૧મો જન્મ દિવસ ઉજવાયો તો એવો પ્રચાર થયો જાણે એમણે અવતાર લઇ જગતનું શું ય મોટું કલ્યાણ કરી નાખ્યું હોય. વાસ્તવિકતા એ છે કે, આ તિલક-ચાંદલાઓને સ્વયંના કલ્યાણ સિવાય કોઈના કલ્યાણમાં રસ નથી હોતો. મારો એક જાત અનુભવ કહું: થોડા સમય અગાઉની વાત છે. રાજકોટમાં હું બિગ એફ એમ માં હતો ત્યારે અમે દિવાળીના તહેવાર વખતે એક રાહત રસોડું ખોલ્યું હતું. તેમાં અમે દસ રૂપિયાનું એક કિલો ફરસાણ, વીસ રૂપિયે કિલોના ટોકન દરથી  મોહનથાળ આપતા હતા. કંપનીએ માત્ર એકવીસ હજાર રૂપિયા આપ્યા હતા જ્યારે અમે દસ દિવસ સુધી રોજની હજારો કિલો સામગ્રી આપતા હતા. એ બધું ભેગું કરવાની જવાબદારી અમારી હતી. મહત્વની વાત એ કે, અમે કોઈ શ્રેષ્ઠી પાસેથી પૈસા નહિ લેવાનો નિયમ રાખ્યો હતો - જેથી કોઈ વિવાદ જ ના થાય. હા! અમે દાનવીરો વગેરે પાસેથી સામગ્રી સ્વિકારતા હતા. કાચી સામગ્રી. બેસન, ઘી, ખાંડ, તેલ વગેરે. રોજના ટ્રક ઉતારે તો પણ સામગ્રી ઓછી પડે એમ હતું. 


રોજ અમે અનેક લોકોને ફોન કરી સામગ્રી માટે વિનંતી કરતા. કોઈએ ના કહી નહોતી. એક વખત બેસનની ભારે ખેંચ થઇ ગઈ. મેં રાજકોટ સ્વામિનારાયણ મંદિરના કર્તાહર્તા એવા અપૂર્વ મુની સ્વામિને ફોન કર્યો અને બે ગૂણી બેસનની સહાય મોકલવા વિનંતી કરી. ત્યાં મગસના લાડુ અને મોહનથાળ વગેરે નિયમિત બનતા હોય છે અને બેસનનો સ્ટોક કદી ખતમ થતો નથી. અમારી પ્રવૃત્તિ - વિતરણ ગામની મધ્યમાં થતું હતું લોકો સવારથી સાંજ લાગી ત્યાં ખડકાતી કતારો નિહાળતા હતા. મિડિયામાં તેનું જોરદાર કવરેજ રોજ આવતું હતું. અપૂર્વ મુની સ્વામીને મારે ઝાઝું સમજાવવાની આવશ્યકતા નહોતી. પરંતુ એમણે જે જવાબ આપ્યો એ પણ ખરેખર અપૂર્વ હતો. તેમણે કહ્યું: "હમણાં મંદિર પણ બહુ ખેંચમાં છે, બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં છે!" હું રીતસર ડઘાઈ ગયો! સમજતા મને વાર ના લાગી કે, બે ગૂણી બેસન સામે એમને શૂન્ય માઈલેજ મળતું હતું, કોઈ જ ફોટા છપાવાના નહોતા - પેટમાં એ જ દુખતું હતું. મેં કહ્યું: "સ્વામીજી, તમે આવડા-આવડા મંદિરો બાંધો છો, ચિક્કાર ખર્ચ કરો છો... અને આઠ હજાર રૂપિયાના સામાન માટે આવી વાત કરો છો?"   
 અપૂર્વ મુની સ્વામિ 
 અમારે ત્યાં બનતી ૧૦૦% વસ્તુ ગરીબો સુધી જવાની હતી. લાંબી લાઈનમાં બી.પી.એલ. કાર્ડ દેખાડી કોઈ મધ્યમ વર્ગની કે ધનવાન વર્ગની વ્યક્તિ આવું લેવા આવે નહિ. કોઈપણ સ્વસ્થ દિમાગની વ્યક્તિ આ પ્રવૃત્તિમાં હોંશે-હોંશે ભાગ લેવા આવે. અમને આવા અનેક અનુભવો થયા. એક ભાઈએ પોતાના કારખાનામાં મિઠાઈ આપવાનું જે બજેટ હતું તે અમને ફાળવી દીધું, પંદર ડબ્બા ચોખ્ખું ઘી અમને મોકલ્યું. તેની સામે અમારે તેમના ગરીબ કારીગરોને ટોકન ભાવે મીઠાઈ-ફરસાણ આપવાના હતા. અમારા માટે એ જબરો ફાયદાકારક સોદો હતો. કોઈએ પોતાનો જન્મ દિવસ ઉજવવાનું કેન્સલ કર્યું. કેટલાય સેવાભાવી લોકો અમારે ત્યાં શ્રમદાન  આપવા આવ્યા. સૌથી અદભુત કહી શકાય એવી મદદ રાજકોટના મારા ઉદ્યોગપતિ મિત્ર -
ડો. શૈલેશ માકડિયાએ કરી. (એમની રાધે ગ્રુપ ઓફ એનર્જી સાથે અને અકિલા સાથે મળી મેં ગોલ્ડન ગુજરાત ડોક્યુમેન્ટરી તો આ ઘટના બન્યા બાદ બનાવી!) એક વખત રસોડાની મુલાકાત લીધી અને બધી કામગીરી તેમણે નજરે જોઈ. અમારી મુશ્કેલીઓ વિષે અમારે એમને કહેવું ના પડ્યું. તેમણે અમને કહ્યું, "કોઈપણ સામગ્રી ઘટે તો કોઈ એક મોટી કરિયાણાની હોલસેલ પેઢી પાસેથી બધું લેતા જજો, છેલ્લે એમને કહેજો કે, બિલ મને મોકલાવી આપે!" શૈલેષભાઈએ અમને આપેલી એ લાઈફ લાઈનનો અમે ઘણી વખત ઉપયોગ કર્યો. અને એમણે એમનું પ્રોમિસ પાળ્યું. સેવાભાવી વડીલ મિત્ર એવા અમુભાઈ ધકાણ છેવટ સુધી મદદ વરસાવતા રહ્યા. કોઈ જ સ્વાર્થ વગર. આ બધાની નીતિમત્તા પેલા અપૂર્વ મુની કરતા વધુ ગણાય. એટલે જ હું ઘણી વખત કહું છું કે, આપણાં સાધુઓ કરતા આપણો સરેરાશ માનવી વધુ ઈમાનદાર અને વધુ નીતિવાન છે. 

વાત આગળ ચાલી, મેં જયારે મંદિરોમાં થતા ચિક્કાર ખર્ચની વાત કરી ત્યારે અપૂર્વ મુની સ્વામીએ ટિપિકલ સ્વામીનારાયણ સાધુની અદામાં જવાબ આપ્યો: "મંદિરો વગેરેનું નિર્માણ તો પસ્તી એકઠી કરી, તેના વેચાણમાંથી આવેલી રકમમાંથી થાય છે!" બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું આ અદભુત માર્કેટિંગ ગતકડું છે. તેઓ જ્યાં-જ્યાં મંદિર બાંધે છે ત્યાં લોકોના ઘેરથી પસ્તી ઉઘરાવવા નીકળે છે અને કહે છે કે, તેમાંથી મળેલા પૈસામાંથી તેઓ મંદિર બંધાશે. મંદિરો જો આમ બંધાતા હોય તો દિલ્હીનું અક્ષરધામ બાંધવા તેમને ૨૫ કરોડ કિલોગ્રામ પસ્તીની જરૂર પડી હોય! વાસ્તવિકતા એ છે કે, આવા ગિમિક તળે તેઓ મંદિરોમાં થતાં કાળા નાણાંના ઉપયોગની વાતો દબાવી દેવા માંગતા હોય છે. અપૂર્વ મુનિને મેં કહ્યું, "તમારે બેસન મોકલવો કે નહિ એ તમારી વિવેક બુદ્ધિ પર છોડું છું!" મને હતું કે, એમનામાં જો લેશમાત્ર નિષ્ઠા કે લાજ-શરમ હશે તો તેઓ મોકલશે જ. પરંતુ તેમણે ના મોકલ્યો. 

વાત નાની છે. પરંતુ બહુ મોટી છે. આવા સંપ્રદાયો કેટલી હદ્દે નિષ્ઠાવિહીન અને નઘરોળ હોય છે તેનો આ પુરાવો છે. ઉત્સવો અને ઉજવણીઓ પાછળ તેઓ અબજો ખર્ચી નાખે છે - કારણ કે, તેમાં તેમનું માર્કેટિંગ થાય છે. પરંતુ કોઈની આંતરડી ઠારવાની વાત આવે ત્યારે અપૂર્વ મુનિઓનું મંદિર ગરીબ બની જાય છે. બાય ધ વે, અમે દસ દિવસનો એ દિવ્ય સેવા યજ્ઞ બહુ સફળતાપૂર્વક પાર પાડ્યો. બિગ એફ એમની અમારી કોર્પોરેટ ઓફિસના લોકો પણ મોઢામાં આંગળા નાંખી ગયા. તેમને નવાઈ લાગતી હતી કે, આટલું વિરાટ કાર્ય કોઈ તોતિંગ ફંડ વગર કેવી રીતે શક્ય થઇ શકે! પરંતુ મેં પહેલા જ કહ્યું તેમ, દેશનો સામાન્ય માનવી આવા સાધુઓ કરતા વધુ ઈમાનદાર અને કરુણામય છે. સારું કાર્ય જોઈ એમના હૈયે ઈશ્વર વસતો હોય છે. હા! ઈશ્વર BAPSના મંદિરોમાં નહિ, લોકોના હૃદયમાં રહેતો હોય છે. 
સૌને જય સ્વામિનારાયણ! 

Friday, November 25, 2011

રમેશ પારેખની સૌથી લાંબી મુલાકાત!:

કહેવાય છે કે કવિ પરકાયા 
પ્રવેશ કરતો હોય છે....



તું ઇટ્ટાકિટ્ટા છોડ 

 અરે,આમ નજરના ફેરવી લેવાથી
પાસેનું હોય તેને
થોડું જ પરાયું બનાવી શકાય છે ?
એવુ ખરું કે
હું ઘડીક હોઉં
ઘડીક ન યે હોઉં
પણ ઘડીકમાં ચોરપગલે તારી શય્યામાં સળ થઇ બેસી જાઉં
કે તારા કંઠમાં ધીમું ધીમું ગીત બની આવી ચડું
કે નીંદરની જેમ ઊડી યે જાઉં
હું કોઇ નક્કી નહીં હોઉં.
તારા પુસ્તકનું સત્યાવીશમું પાનું હોઇશ
તું ચાલે તે રસ્તે હોઇશ.
તારા ખુલ્લા કેશમાં ફરતી હવા હોઇશ
ક્યારેક રીસે ભરાઉં તો
તું મને સંભારે પણ હું તો તારી યાદમાં જ ન આવું
છબીમાં હોઉં પણ તારી સામે ન જ હસું.
ક્યારેક જૂની પેટીમાં છુપાવેલ મારો કોઇ પત્ર બની
હું અચાનક જડું ને તને રડાવી ય દઉંહાં
પણ અંતે તો સોનલ,તું છે કેલિડોસ્કોપ
અને હું છું તારું બદલાતું દ્રશ્ય.
આપણે અરસપરસ છીએ.
નિકટતાનો કોઇ સવાલ જ ક્યાં રહે છે ?
બસ આપણે તો અરસપરસ છીએ
તારા સ્તનનો ગૌર વળાંક હું છું,તારી હથેળીમાં ભાગ્યની રેખા હું છું,તારા અરીસામાં દેખાતું પ્રતિબિંબ હું છું.
હઠીલો છું.
તારી સકળ સુંદરતા બની તને ભેટી જ પડ્યો છું -
તારું સકળ સોનલપણું જ હું છુંલેઅને તારે મારો ઇનકાર કરવો છે ?એ પ્રયત્ન કરી જો.
દરિયા વચ્ચે બેસીને કોઇ દરિયાનો ઇનકાર કરે
તો દરિયો દરિયો મટી જાય છે ?
તને હું બહું કનડું છુંકેમ ?શું કરું ?પ્રેમ સિવાય મારા માટે બધ્ધું જ દુષ્કર છે -
તું જ કહે,તને ન ચાહું તો હું શું કરું ?
આપણે એક જાળમાં સપડાયેલાં બે માછલાં છીએ ?એક શરીરની બે આંખ છીએ ?મને તો ખબર જ પડતી નથી.
એક વાર તું જ કહેતી હતી કે
તું દરિયો છે ને હું તારું પાણી છું
તું આકાશ છે ને હું તારો વિસ્તાર છું.
આ તું અને હું ના ટંટા પણ શા માટે ?અરે… રે
તું સાવ બુદ્ધુ જ રહી.
આંખો મીંચીને રમીએ એને સંતાકૂકડી કહેવાય
કંઇ જુદાઇ’ ન કહેવાય.
ચાલઇટ્ટાકિટ્ટા છોડ,અને કહી દે કેહું હારી
=========================

તમે મારામાં આરપાર રહેતાં 

કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
કાચમાં રહે છે પારદર્શકતા એમ તમે મારામાં આરપાર રહેતાં
ફૂટી ગયેલી આરપારતાને વળગીને
તાકતી સપાટીઓ તો અંધ
ડાળમાંથી પાન જેમ ઊગી નીકળે છે
એમ આપણને ઊગ્યો સંબંધ
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
પાન ને લીલાશ બેઉ વચ્ચેની દૂરતામાં જોજનનાં પૂર હવે વહેતાં
આખ્ખા યે પૂરને હું બે કાંઠે ઘૂઘવતી
ઘુમ્મરીની જેમ રે વલોવું
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ
મને લાગતું ન ક્યાંય મારું હોવું
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
હોવા વિનાની કોઇ શક્યતામાં ઓગળીને જળનો આકાર તમે લેતાં
========================


 રોજ એવું થાએવું થાય કે- 
રોજ એવું થાયએવું થાય કે
આ ખંડમાં બારીના સળિયાઓની પેલે પાર આઘે
ગંધમાં તરબોળ ટેકરીઓ અહીં સૂંઘું
પ્રિયના આશ્ર્લેષમાં પીગળી જતી
કોઇક કંપિતા તણા
લજજાળુ ઉચ્છવાસો સમી
કૈં ઘાસની વિશ્રંભમર્મર સાવ પાસે પી લઉં આકંઠ
લીલી ટોચથી પડતું મૂકીને
ટેકરીના ઘાસવહેતા ઢાળ પરથી દડદડું
કેડી થઇ પાછો ચડી લપસી પડું
ચોમેર તૃણશૈયા વિષે વીંટળાઉ
રોમેરોમથી આતુર આળોટી પડું
આખી ય લીલી વેળ ઝંઝેડી દઉં
સંતાઉં લીલાકાચ ઘેઘૂર ઝૂંડમાં
ને કોઇ ઓચિંતી ઊડેલી દેવચકલી-શો હવામાં ફરફરું...
ફરફરું... બસ ફરફરું
ને એટલે આઘે જઉં
કે સાંજનો અંધાર ઊગે તો ય
માર નીડમાં
ક્યારે ય ના પાછો ફરું
=======================

મનજી ઓઘડદાસ 
મનજી ઓઘડદાસ રહેવાસી ગોધરા ઉંમર સાઠ (કે ઓગણસાઠ) ને ઘંધો તરગાળાનો,
ત્યાં ઠોકેલી રાવટી આજે અહીં તો કાલે ક્યાંક ને મારગ તડકેછાંયે પગપાળાનો.
મનજીને (માદેવની) અફર માનતા છે કે ઘરવાળાંની કૂખમાં દીવો થાશે,
એટલે એણે ટેક લીધી કે અડવાણા ને અવળા પગે હાલતો કાશી જાશે.
ઘરવાળાંની કૂખને ઘણી ખમ્મા કહેવા ઉપડે અને લબડી પડે હોઠ,
કૂખદીવાને થાપવા કાજે પાથરેલા ને પાથરેલા રહી જાય ખાલી બાજોઠ.
લીલબાઝેલી આંખમાં હવડ જળ ને એમાં એક હજી ગંધાય છે ટાપુ પરવાળાનો.
કોઇ વેળા સગાળશા જેવા વેશમાં સગા દીકરાને પણ ખાંડતો સગા હાથે,
મનજી પોતે પણ ખંડાતો હોય ખંડાતો હોય ખંડાતો હોય છે સાથે સાથે.
ખેલમાં ઝાંખી પડતી કિસનલાઇટની સામે કોઇ રાતે તરવાર ખેંચેલો રાજા,
દિવસે જ્યારે મનજી વેશે હોય છે ત્યારે ગામનું નામ જ-કોઇ નથી દરવાજા.
 આમ તો પોતે સાવ ખુલ્લોફટ્ટાસ ને ગામેગામ ઉઘાડેછોગે થતો વહેવાર તાળાનો.
====================



 તારા સોરઠ દેશે કંઈ દંતકથા-શો ફરું
યાદ નથી
હું પવનપાવડી પહેરી
કોઇ ઝરૂખડે મીનલોચન ઝરતી
પ્રવાલદ્વીપની કન્યાનું મન હરવા
ભમ્મર પાંચસાત દરિયાઓ
ભમ્મર પાંચસાત પાતાળો
ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં
યાદ નથી
હું ગામધિંગાણે ખપી ગયેલા
સૂર્યવંશી કોઇ પાળિયે
સુંદરીઓની સિંદૂરભીની આંગળીઓના
કંકણવતા સ્પર્શ સોંસરી
કંકણવતા હાથ સોંસરી
લોહી સોંસરી
લોહી સોંસરી
જીવ સોંસરી
હરતીફરતી વીરગતિમાં હોઉં
છતાં
હું તારા સોરઠ દેશે કોઇ દંતકથા-શો ફરું.
મારે મારા રાજપાટમાં
પૂરપાટ એક મીરાં નામે નદી વહે છે
નદી નામના ફાટફાટ આભાસી જળને કાંઠેકાંઠે
હું જ એકલો
કાળી પોલી જરઠ સાંકડી સુક્કી હિંસક રૈયત થઇને વસે
શ્વસે આભાસી જળને
શ્વસીને શ્વસીને રૈયત રાતીમાતી
મારી ગજગજ ખાલી છાતી
રૈયત ચોરેચૌટે ભરે ડાયરા
દરદ નીતરતા દૂહા ગાય
કે વહીવંચાની વાત સાંભળે
ઘૂંટે કસુંબા
હલ્લો કરતા
બખ્તર ભાલાં તેગ કટારી હાથ પડ્યું હથિયાર લઇને
હાંકો કરતા
હયદળ પયદળ
મને ગામથી બહાર
ગામથી ગામ
દેશથી દેશવટો આપે
સદીઓની સદીઓથી આવું કોણ મને સંતાપે ?
પગલે પગલે પારિજાતની ડાળ
ડાળ પર બાવળ જેવી શૂળ ઉગે છે
અને શૂળને છેડે મારાં સૂરજવંશી કૂળ ઉગે છે
દટ્ટણપટ્ટણ ગઢની માથે ફરી વળેલી ધૂળ ઉગે છે
હથેળીઓમાં રેખા થઇને કણસ્યા કરતું
ક્યા વૃક્ષનું મૂળ ઉગે છે ?
જંગલ મારી વાત છુપાવી ચુપચાપ છે
ચુપચાપ છે જંગલ મારી વાત છુપાવી
મને અવતર્યા કરતી મારી કુંવરીઓને
દૂધપીતી કરવાનું દૈવત નથી હાથમાં
મને સાંભરે દાદાજીની વાત...
દાદાજી કહેતા કે
મારા પરાક્રમી વડદાદાઓની
પવન ચાકરી કરતા
સૂરજ રજા લઇને આથમતા
એવા મારા દુર્દમ દાદાજીએ
ત્રેતાયુગની છાતીમાં
ધરબ્યાંતા સોંપટ ખીલા
એવા કોઇ ખીલાની કરચ શોધતો ટીંબેટીંબે ફરું
મનેય મારા દાદા જેવો થઇ જવાની હોંશ હતી ગઇ કાલે
મનેય મારા દાદા જેવો થઇ જવાની હોંશ હતી ગઇ કાલે

આજે સતત અવતર્યા કરતી મારી કુંવરીઓને
દૂધપીતી કરવાનું દૈવત નથી હાથમાં રહ્યું
પછીં હું ગામધિંગાણે
ખપી ગયેલા સૂર્યવંશીનો હોઉં પાળિયો ક્યાંથી ?
ક્યાંથી પવનપાવડી પહેરી
કોઇ ઝરૂખડે મીનલોચન ઝરતી
પ્રવાલદ્વીપની કન્યાનું મન હરવા
ભમ્મર પાંચસાત દરિયાઓ
ભમ્મર પાંચસાત પાતાળો
ભમ્મર પાંચસાત અવતારો વીંધ્યો હોઉં
પછી
આ ક્યા જનમમાં પિવાયેલા હુક્કાઓના ધુમ્રગોટ
આંખોમાં આજે ફરી વળ્યા છે ?
લૂંબઝૂંબ આ ઝળુંબતા ગુલમ્હોર જોઇને
ક્યાં જનમમાં પિવાયેલા કેફ-કસુંબા
આવે છે ઓસાણે ?
નદી નામના ફાટફાટ આભાસી જળને જોઇ જોઇ
આ ક્યા જનમના ખોબેખોબે રડી પડયાના વહાલા દિવસો
લુખ્ખીસુક્કી આંખ વિષે અફળાય ?
સોનલ...       સોનલ...
એવું તે હું શું ય હતો કે
તારા સોરઠ દેશે કોઇ દંતકથા-શો ટીંબે ટીંબે ફરું ?
======================

ભાષાની ઘા 
મારા ભોળા શબ્દોને મેં કર્યું મેશનું ટીલું રે
છતા ય એ નજરાઇ ગયા કૈ એવું સૂકૂંલીલું રે

દાદા ઉમાશંકર દોડોહણહણતા જળ લાવો રે
શબ્દોનાં ફાટેલાં સૂકાં સૂકાં મ્હોં ભિંજવો રે

કહોનિરંજનકાકાઆ તે કપટ થયા છે કેવાં રે
તરફડતા શબ્દોને વળતા અરથોના પરસેવા રે

રઘુવીરતમ જેવા મૂછડ ભાઇ છતાં આ થાતું રે
શબ્દો સાથે છનકછિનાળાં કરે સકળ ભાયાતું રે

સુરેશ નામે જોષીજુઓ જોષ કુંડલી દોરી રે
શા માટે આ શબ્દોમાંથી વાસ આવતી ખોરી રે

કરો વૈદ્યશ્રી ઉર્ફ લાભશંકર ઠાકર ચિકિત્સા રે
શબ્દોને શા વ્યાધિ છે કે થાતા ચપટાલિસ્સા રે

મણિલાલપ્રિયકાંતરાવજીજગદીશે જે માંજ્યા રે
છતાં શબ્દનાં કાળાભઠ્ઠ પોલાણ હજી ના ભાંજ્યા રે

રસ્તો ક્યાં હે મનહરચીનુસરુપકિસન સોસા રે
શબ્દો મારા ટ્રાફિકમાં અટવાઇ ગયેલા ડોસા રે

રમેશ જેવો રાબડબૂસો કરતો કૈં કૈં ખેલો રે
અને/એટલે/અથવા મારો પાલવ થાતો મેલો રે

નયન, નિરંકુશ, પ્રફુલ્લ, પન્ના, વિપિન શેખડીવાળા રે
શબ્દોના અંધારગર્ભમાં કરશોને અજવાળા રે ?

           

વર્ષો પહેલા રિડિફ ડોટ કોમ માટે મેં લીધેલો આ ઇન્ટરવ્યુ કદાચ એમના જીવનનો સૌથી લાંબો ઇન્ટરવ્યુ હશે. 
૨૭ નવેમ્બરના દિવસે એમની જન્મ જયંતી છે ત્યારે એમને અંજલી રૂપે આ ખાસ મુલાકાત...



૬૦ વર્ષના રમેશભાઈને ૬૦ સવાલ અને ૬૦ જવાબો !





સવાલ: પ્રથમ કૃતિ હજી યાદ છે? કઈ?
રમેશ પારેખ:  ગઝલ હતી. ‘આંખો મીંચી દઉં તો સ્વપ્ન બહાર રહી જશે.’ ‘કુમારમાં છપાઈ હતી. ૧૯૬૭-૧૯૬૮ની સાલમાં.

પ્રથમ કૃતિનો પુરસ્કાર કેટલો મળ્યો હતો?
પાંચ રૂપિયા. બહુ વહાલા લાગ્યા હતા.

પ્રથમ સંગ્રહ  પ્રકાશિત થયો ત્યારે કેવી લાગણી થઈ?
અત્યંત આનંદ. બસ, ખૂબ ખુશી.


ઉજવણીમાં કોની ખોટ સૌથી વધુ સાલે છે?
એવા મિત્રો જે હયાત નથી.


રમેશ પારેખનેરમેશ પારેખબનાવવા પાછળ રમેશ પારેખ ઉપરાંત કોનો હાથ? કોનો સાથ?
મારા સાહિત્યના પૂર્વસૂરીઓનો અને પરિસ્થિતિનો.


પ્રેરણાસ્ત્રોત અને આદર્શ કોણ? ‘ માણસ જેવું હું લખી શકું તો...’ એવો ભાવ કોના માટે થાય?
એવી લાગણી કોઈના માટે થતી નથી. હું મારી મસ્તીથી લખું છું.

તમારાં કાવ્યોમાં વારંવાર દેખાતી સોનલકોણ છે?
માત્ર એક કાલ્પનિક પાત્ર છે. કોઈ સ્ત્રી નથી. ‘સોનલએટલે મારા મનને ગમતી પરિસ્થિતિ. એનાથી વિશેષ કશું નહીં.

કવિઓને મળતાં માનસન્માનપુરસ્કારોથી સંતોષ છે?
જુદા જુદા કવિઓ માટે જે તે  પ્રકાશકો, આયોજકોનાં ધોરણ અલગ હોય છે. સાહિત્યપ્રેમીઓનો  પ્રે બહુ મોટી વાત છે. સમાજ જ્યારે શબ્દનું સન્માન કરે ત્યારે સૌથી વધુ આનંદ થાય છે.

તમારાં કાવ્યોમાં વૈવિધ્ય ઊડીને આંખે વળગે છેપ્રેમની ઋજુતા, માનવીય સંવેદનાઓ, વરસાદની છાલકો, બળબળતી બપોર, ચોટદાર કટાક્ષ, વાસ્તવિકતા, આટલાં બધાં પાસાંઓને કાવ્યમાં કેવી રીતે ઢાળી શકો છો?
એવું કહેવાય છે કે કવિ પરકાયા  પ્રવેશ કરતો હોય છે. પરકાયા પ્રવેશ કરે છે. જુદા જુદા ખોળિયામાં પ્રવેશીને લોકોની લાગણી, સુખદુઃખ આત્મસાત્ કરે છે. સર્જનયાત્રા દરમ્યાન જાણતાં-અજાણતાં મારાથી પણ પરકાયા પ્રવેશ થતો રહ્યો, ત્યાં મેં જે અનુભવ કર્યો એને મારાં કાવ્યોમાં ઢાળ્યો.

કઈ એવી મહેચ્છા છે જે પૂર્ણ થઈ હોય?
ભૌતિક રીતે હવે કોઈ ઇચ્છા બાકી નથી. મારી એવી કોઈ બહુ મોટી તમન્નાઓ નહોતી. જે કંઈ જરૂરી હોય યોગ્ય સમયે મળતું રહ્યું છે, મળતું રહે છે.

અચ્છા...જે નથી પૂર્ણ થઈ એવી મહેચ્છા?
એવી કોઈ અંગત મહેચ્છા નથી. હું બહુ સંવેદનશીલ છું. લોકો સુખીસંપ્ન્ન હોય, યુદ્ધો થાય, માણસ બે ટંક પેટ ભરીને જમી શકે એવું હું ઇચ્છું છું. મારી મહેચ્છા.

કાવ્ય લખ્યા વગર વધુમાં વધુ કેટલા દિવસ રહી શકો?
કવિતા કોઈ નિશ્ચિત સમયગાળે નથી લખાતી. મનમાં સંવેદન જાગે ત્યારે લખાઈ જાય.

જીવનને કોઈ એક અવસ્થાએ STILL કરી શકાતું હોય...નહીં આગળ વધવાનું, નહીં પાછળ જવાનું. તો તમે જીવનના કયા તબક્કામાં PAUSE થઈ જવાનું પસંદ કરો?
બાળપણમાં. હળવાફૂલ થઈને જીવવાનું. સાવ નિર્દોષ જીવન.

તસવીર સૌજન્ય: www.rameshparekh.in








ગમતું પર્યટન સ્થળ?
મને પર્યટનનો બહુ શોખ નથી. મારી તબિયતને પણ પ્રવાસ માફક નથી આવતો.

પણ સૌથી વધુ શાંતિનો અનુભવ ક્યાં થાય તમને?
ઘરમાં. ઘરનું વાતાવરણ મને બહુ ગમે. ઉપરાંત મને બદ્રીનાથ અને સોમનાથમાં પણ બહુ શાંતિ મળે છે. સોમનાથના દરિયાકિનારે કલાકો સુધી હું બેસી રહું છું.

ગમતી જગ્યા?
એવું કોઈ સ્થળ નથી. હું મારા મન સાથે સતત સંવાદ કરતો હોઉં છું. એટલે કદાચ કોઈ જગ્યા બહુ સારી હોય તોપણ તેથી મને બહુ અસર નથી થતી.

કઈ ક્ષણો યાદ કરવી ગમે? બહુ દુઃખદ સમય?
માતાપિતા અને કેટલાક મિત્રોની ચિરવિદાય બહુ આકરી હતી, ક્ષણોને ભૂલવા મથું છું.

કોઈ એવો નાનકડો બનાવ, જે માનસપટ પર બહુ અસર કરી ગયો હોય?
મારી યાદશક્તિ બહુ નબળી છે. એવો કોઈ બનાવ મને યાદ નથી.

જેના જીવનમાંથી સતત કંઈક શીખવા મળ્યું હોય તેવી કોઈ સાવસામાન્ય વ્યક્તિ? મહાપુરુષ કે સંતોની વાત નથી થતી, સામાન્ય વ્યક્તિ.
એવી સામાન્ય વ્યક્તિ હું પોતે . મારામાંથી હું ઘણું શીખ્યો છું. કોઈ વાતનો તંત રાખવો. જક્કી વલણ રાખવું. કોઈને સુખ મળતું હોય તો આપણી વાત જતી કરવી. માનઅપમાનની ગાંઠો બાંધવી નહીં.

સવાલ: ઉર્દૂ, હિન્દી, ગુજરાતીના પ્રિય કવિઓ-લેખકો કોણ?
રમેશ પારેખઉર્દૂ તથા હિન્દી સાહિત્ય હું બહુ વાંચતો નથી. ગુજરાતી સાહિત્યનું મારું વાચન પણ બહુ વધારે નથી. છતાં ઉર્દૂમાં સઆદત હસન મન્ટો, હિન્દીમાં મોહન રાકેશ અને ગુજરાતીમાં ઉમાશંકર, સુંદરમ્, લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્ચંદ્ર ગમે.

નવી પેઢીના કયા કવિઓ પ્રતિભાશાળી લાગે છે?
કોઈ એક સર્જકનું નામ લેવાનું યોગ્ય નથી. પોતાની રીતે ઘણાબધા લોકો, પોતાની પ્રતિભાના ચમકારા દેખાડી રહ્યા છે. પણ હું માનું છું કે એમનો શબ્દ હજી સ્થિર નથી થયો. ઉદયન ઠક્કર, હેમેન શાહ, મુકુલ ચોકસી, હર્ષદ ચંદારાણા, અરુણ ભટ્ટ અને સંજુ વાળા જેવા કવિઓમાં ખૂબ પ્રતિભા છે. બધા લોકો જે પ્રયોગો કરે છે હું અત્યંત રસપૂર્વક નિહાળી રહ્યો છું. એમની કાવ્યપ્રક્રિયા મને બહુ આકર્ષે છે.

ગુજરાતી કવિતા "પ્રેમ"ના વિષયમાં કેદ થઈ ગઈ હોય એવું કેમ લાગે છે? અમુક અપવાદોને બાદ કરતાં તેમાં પ્રયોગો કેમ નથી થતા?
પ્રેમ તો સનાતન અને સૌથી સુંવાળી લાગણી છે. કાવ્યમાં એટલે પ્રેમની વાત વધુ હોય છે. પ્રેમ એટલે માણસજાતને ઈશ્વરે આપેલું વરદાન. કપરી પરિસ્થિતિ વચ્ચે પણ માનવી પ્રેમના સહારે જીવી જાય છે. પ્રયોગોની વાત છે ત્યાં સુધી આગળ જણાવ્યું તેમ કેટલાક કવિઓ પોતાની કવિતામાં જુદા જુદા  પ્રયોગો કરે છેપ્રયોગોનું  પ્રમાણ, શ્રેષ્ઠ અને વિશિષ્ટની માત્રા તો ઓછી હોય. જે ક્યારેક થાય તેને જ  પ્રયોગ કહેવાય, નહીંતર રૂટિન બની જાય.

તમારી દ્રષ્ટિએ ગુજરાતી કવિતામાં છેલ્લાં ૧૦-૨૦ વર્ષોમાં કયા ફેરફાર નોંધાયા છે?
સાહિત્ય અને કવિતાના ક્ષેત્રમાં એક પ્રક્રિયા નિરંતર ચાલુ હોય છે. વર્ષોના માધ્યમ દ્વારા તેને વિભાજિત કરી શકાય. એક સૂક્ષ્મ  પ્રક્રિયા છે. પણ નિખાલસતાથી કહું તો મને એવું લાગે છે કે ગુજરાતી કવિતા છેલ્લા ઘણા સમયથી ક્યાંક સ્થગિત થઈ ગઈ છે. કોઈનો શબ્દ કંઈક જબરદસ્ત ચમત્કાર સર્જે એવી ઘટનાની હું રાહ જોઈ રહ્યો છું.

તસવીર સૌજન્ય: www.rameshparekh.in

હાસ્ય કવિઓનો, વ્યંગ કાવ્યોનો ગુજરાતીમાં દુષ્કાળ શા માટે છે ?
હું માનું છું કે ગુજરાતી પ્રજાને મન મૂકીને, ખડખડાટ હસતાં નથી આવડતું. આવી પરિસ્થિતિમાં હાસ્યકવિઓ ક્યાંથી જન્મે? કવિઓ પણ સમાજમાંથી આવતા હોય છે. જે તે સમાજનું  પ્રતિબિંબ તેના સર્જનમાં પડવાનું . ટૂંકમાં કહીએ તો કૂવામાં હોય તો હવાડામાં આવેને.

સર્જનપ્રક્રિયામાં સૌથી વધુ વિક્ષેપ ક્યારે પડે ?
સર્જનપ્રક્રિયા મનમાં ૨૪ કલાક ચાલતી હોય છે. નાના નાના વિક્ષેપથી કશો ફર્ક નથી પડતો. હા, મને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ છે. તબિયત બગડે ત્યારે બધું થંભી જાય છે.

તમારી ફેવરિટ ફિલ્મો કઈ?
ચાર્લી ચેપ્લિનનીસિટી લાઇટઅને રાજ કપૂરનીતીસરી કસમ’.

કયા પ્રકારની ફિલ્મો વધુ ગમે?
ક્લાસિક.

છેલ્લે થિયેટરમાં ક્યારે, કઈ ફિલ્મ જોઈ?
દોઢ-બે વર્ષ પહેલાંટાઇટેનિકજોવા ગયો હતો, પછી નથી ગયો.

ઘેર ટીવી પર જોઈ લેતા હશો...
હું ટીવી જોઉં છું, પણ ફિલ્મો માટે નહીં. સાવ ટાઇમપાસ માટે . યાદશક્તિ ઓછી હોવાથી સિરિયલ જોવાનો તો સવાલ નથી. મોટા ભાગે હું ટીવી જોતાં જોતાં ઊંઘી જાઉં છું.

ગમતા ફિલ્મકલાકારો?
દિલીપકુમાર, રાજ કપૂર અને મીનાકુમારી.

પ્રિય ગાયક-ગાયિકાઓ?
લતા, આશા અને મોહમ્મદ રફી.

પ્રિય પુસ્તકો?
ઘણાં બધાં પુસ્તકો ગમે છે. કોઈ બે-ત્રણનાં નામ લેવાનાં હોય તો મનુભાઈ પંચોળીદર્શકનુંસોક્રેટિસ’, ગાંધીજીનુંસત્યના  પ્રયોગોઅનેવિનોબા ભાવેનાં ગીતાપ્રવચનોનું નામ લઉં.

ઈશ્વરમાં માનો છો? પૂજા અને જાત્રા કરો છો?
બદ્રીકેદારની જાત્રા કરી છે. પૂજા નથી કરતો. રહી ઈશ્વરની વાત. તો હું કહીશ, હા. કોઈ પરમ શક્તિ જગતનું તંત્ર સંભાળી રહી છે એને આપણે ઈશ્વર કે એવા કોઈ નામે ઓળખીએ છીએ. મેં તો માની લીધું છે કે ઈશ્વર છે. એણે એનું અસ્તિત્વ સાબિત કરવાનું છે.

તસવીર સૌજન્ય: www.rameshparekh.in


    
કયા વક્તાને સાંભળવા ગમે?
કોઈ પ્રકારના કાર્યક્રમોમાં હું ખાસ જતો નથી. પણ નિરંજન ભગત જ્યારે કાવ્યની વાત કરતા હોય ત્યારે એકાગ્રાતાથી સાંભળું. એમનું વક્તવ્ય મને ગમે છે.

અન્ય શોખ કયા?
ખાસ કોઈ નહીં. જીવવાનો શોખ છે. જીવું છું.

વરસાદ વિશે તમે ધૂમ કાવ્યો લખ્યાં છે, વરસાદની, ચોમાસાની ઉજવણી કેવી રીતે કરો છો?
બારીમાંથી વરસાદને વરસતો જોયા કરું છું. એવું લાગે છે જાણે કોઈની કૃપા કોઈના પર વરસી રહી હોય. એના સાક્ષી બનવાની ભારે મજા આવે છે.

સૌથી અણમાનીતી ઋતુ કઈ?
ઉનાળો મને બિલકુલ નથી ગમતો.

તમારી દ્રષ્ટિએ તમારો સ્વભાવ કેવો છે?
ટૂંકમાં કહું તો બહુ વખાણવાલાયક નથી.

તમારા જીવનનું વિહંગાવલોકન કરો, સાવ તટસ્થ થઈને, તો બર્ડ આઇ વ્યુકેવો હોય?
એક સામાન્ય માણસ છું. જીવનનાં સુખદુઃખથી પર નથી. નિયતિના ચક્રમાં ફસાયેલો છું. એક સામાન્ય માનવીની જેમ જીવ્યો છું. ‘એક્સ્ટ્રાઓર્ડિનરીકશું નહીં. માત્ર બે હાથ છે અને આખા વિશ્વને મારે પ્રેમથી બાથ ભરવી છે. શક્ય બનતું નથી એની પીડાપૂર્વક જીવી રહ્યો છું.

સવાલતમને અતિશય દુઃખ ક્યારે થાય?
રમેશ પારેખ: નિખાલસતાથી કહું તો મને કદી મારી બાબતોમાં દુઃખ નથી થતું. કોઈને બહુ દુઃખી ભાળીએ અને આપણે તેને સહાયરૂપ થઈ શકીએ એમ હોઈએ ત્યારે ભયંકર શૂળ ઊપડે છે.

તમારા લખાણની, સર્જનની આકરી ઝાટકણી કોઈએ કાઢી છે?
મારાં કાવ્યોની ટીકા કોઈએ કરી હોય એવું કદી બન્યું નથી. અને કોઈએ કદાચ કહી હોય તો મેં વાંચ્યું-સાંભળ્યું નથી. હા, મારા વાર્તાસંગ્રાહસ્તનપૂર્વકની આકરી ટીકા લાભશંકર ઠાકરે કરી હતી. મારા સંગ્રહની પ્રસ્તાવના એમણે લખી હતી અને પ્રસ્તાવનામાં એમણે મને ઝાટકી નાખ્યો હતો. જોકે ટીકાથી મને માઠું નહોતું લાગ્યું. ટીકાસભર પ્રસ્તાવના મેંસ્તનપૂર્વકમાં છાપી હતી. વાસ્તવમાં હું એક નિષ્ફળ વાર્તાકાર છું એનો મને આનંદ છે.

અમરેલી છોડીને રાજકોટ સ્થાયી થવાનું કારણ?
કેટલાંક અંગત કૌટુંબિક કારણોસર.

મનપસંદ વાનગી કઈ?
મને એકદમ સાદું ભોજન પસંદ છે.

રસોઈ બનાવવાનું ફાવે?
ભાખરી, શાક અને ચા બનાવતાં આવડે.

વ્યસન છે?
બીડી પીઉં છું.

સામાન્ય રીતે તમારું શિડ્યુલ કેવું હોય છે?
નિવૃત્ત માણસ છું. ઊંઘ ઊડે ત્યારે ઊઠું છું. પ્રેરણા થાય, સંવેદન થાય ત્યારે લખું છું. ઊંઘ આવે ત્યારે સૂઈ જાઉં છું.

તમારા માટે સૌથી કંટાળાજનક પ્રવૃત્તિ કઈ?
હિસાબકિતાબ કરવાનું આવે ત્યારે હું રીતસર ડરી જાઉં છું.

અને ગમતી  પ્રવૃત્તિ?
મિત્રો સાથે ગપસપ.

બીજો જન્મ મળે તો શું બનવાનું પસંદ કરો?
કવિ.

તમને વારંવાર દુઃખી થવાનો શોખ લાગે છે...
(હસતાં હસતાં) ચાલ્યા કરે બધું. હું તમને કહું, કાવ્યપ્રવૃત્તિમાં માનવીનો, માનવીય સંવેદનાઓને એકદમ નિકટથી પરિચય થાય છે. જીવનની કેટલીય બાબતોનું બહુ સૂક્ષ્મ અવલોકન થઈ શકે છે.

કેવા પ્રકારની વ્યક્તિઓથી સખત ચીડ છે?
માણસ તરીકે અન્ય માનવીને મદદ કરવાની પોતાની ફરજ જે સમજી નથી શકતી એવી વ્યક્તિ મને બિલકુલ નથી ગમતી.

તમને બહુ પ્રિય હોય એવો કોઈ એકશેરકહો.
ખલીલ ધનતેજવીનો શેર છે:
સદીયોં સે હમને આજ તક બદલા નહિ ખુદા
હમ લોગ ભી હૈં કિતને પુરાને ખયાલ કે

કઈ વાતનો બહુ અફસોસ રહી ગયો છે?
મિત્રો સાથે અણબનાવ થયો હોય અને તેઓ દુનિયાને અલવિદા કરી ચૂક્યા હોય એવા દાખલા છે. એમને છેલ્લે છેલ્લે મળી શકાયું નથી, એમની માફી પણ માગી નથી શક્યો. એનાથી મોટો અફસોસ બીજો કયો હોઈ શકે?

સમાજની કઈ રૂઢિ, રિવાજ ઊંત્યે સખત સૂગ છે?
મારા માટે જે વિષય અણગમાનો હોય ઊંવૃત્તિમાં અન્ય કોઈને આનંદ પણ મળતો હોય. એટલે કોઈ રૂઢિ-રિવાજ-ફોર્માલિટી માટે મને બહુ ચીડ કે સૂગ નથી.

વિદેશયાત્રા કરી છે?
૧૯૯૫માં અમેરિકા ગયો હતો, દોઢ મહિના માટે.

ત્યાંનો કોઈ યાદગાર અનુભવ?
અમેરિકામાં કેટલાક પરિચિતોએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમેરિકામાં રહેતું એક યુગલ મારાં ગીતો ગાવાનું છે એવી મને કોઈએ વાત કરી. મને થયું કે અમેરિકામાં રહેતા કોઈ ગુજરાતી છે એટલે જેમતેમ કરીને, માંડ મારી રચનાઓ ગાઈ શકશે. પણ એમના પર્ફોર્મન્સને હું હજુ ભૂલ્યો નથી. ભાઈનું નામ યાદ નથી, બહેનનું નામ કદાચ સ્વાતિ હતું. અદ્ભુત ગાયું હતું. હું એકદમ સ્તબ્ધ બની ગયો હતો. ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ગાયકોની હરોળમાં તેઓ ઊભા રહી શકે એવી એમની ગાયકી હતી.

મુશાયરાનો કોઈ યાદગાર અનુભવ?
એક પ્રસંગ મને બહુ યાદ આવ્યા કરે છે. મુંબઈમાં એક વખત આઇ.એન.ટી.નો મુશાયરો હતો. હું અને ઘાયલસાહેબ બેઉં એકદમ નજીક બેઠા હતા. કવિઓના અભિવાદન માટે અમને આપવામાં આવેલું ગુલાબ મારા હાથમાં હતું. મેં ટીખળ ખાતર હળવેકથી ગુલાબ ઘાયલસાહેબના કોટમાં સરકાવી દીધું. આદિલ (મનસૂરી) હરકત જોઈ ગયા. એમણે મને બીજાં બે-ત્રણ ગુલાબ આપ્યાં. મેં બધાં ઘાયલસાહેબના કોટના ગજવામાં સરકાવી દીધાં. સપ્લાય ચાલુ રહી. જોતજોતામાં ઘાયલસાહેબનું આખું ખિસ્સું ગુલાબથી છલોછલ થઈ ગયું. થોડી વાર પછી ઘાયલસાહેબનો રજૂઆત માટે વારો આવ્યો. એમની રજૂઆત એકદમ છટાદાર હોય છે. હાથનું, શરીરનું હલનચલન બહુ હોય. એકદમ જોશસભર. તેઓ ઊભા ઊભા રચનાઓનું પઠન કરી રહ્યા હતા અને ગજવામાંથી ગુલાબ પડતાં રહ્યાં. ત્યારે અમે ખૂબ હસ્યા.

તમને તમારી કઈ કવિતા સૌથી પ્રિય છે?
પ્રથમ રચના. ‘આંખો મીંચી દઉં તો સ્વપ્ન બહાર રહી જશે.’

તસવીર સૌજન્ય: www.rameshparekh.in




જ્યોતિષમાં માનો છો?
જ્યોતિષ એક વિજ્ઞાન છે એવું હું માનું છું. કોઈ ગૂઢ વિદ્યા તરીકે નહીં, વિજ્ઞાન તરીકે એને સ્વીકારું છું.

ગદ્ય અને પદ્ય બંને લખો છો, બંને વચ્ચે શો તફાવત લાગે?
બંને શબ્દોની માયા છે. કવિતા લાઘવમાં વાત અભિવ્યક્ત કરવાનો ઉદ્યમ છે. ગદ્યમાં વિશાળ સ્પંદ મળે છે. લય અને છંદ વગર વાતને અસરકારક કેવી રીતે બનાવવી ગદ્યમાંથી શીખવા મળે.